• પાંચ અણુવ્રતમાં..2ndvrat

  • 1
"मन्मनत्व काहलत्वं, मूकत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफलं कन्यालीकाधसत्यमुत्सृजेत् ।।53।।" યોગશાસ્ત્ર, બીજો પ્રકાશ."
"બોબડાપણું, તોતડાપણું, મુંગાપણું અને મોઢાના અનેક રોગો એ બધું અસત્યનું ફળ છે. તે જોઇને કન્યાલીકાદિ મૃષાવાદનો ત્યાગ કરો."
પાંચ અસત્યનું સેવન એ મહાપાપ છે અને તેનાથી જીવની દુર્ગતિ થાય છે માટે આ પાંચેય મોટા જૂઠાનો શ્રાવકે સદંતર ત્યાગ જ કરવો જોઇએ.
આ સૃષ્ટિનો આધાર સત્ય છે, આમ કહેવું કાંઇ અતિશયોક્તિ કે ન માનવા જેવું નથી.
વસુરાજાને એક અસત્ય શબ્દ બોલવાથી કેટલું દુઃખ દાયક ફળ થયું એ તત્વવવિચાર કરીએ.

બીજું અણુવ્રત સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત

શ્રી સમ્યક્ત્વમૂલ એટલે શ્રદ્ધા સહિતનું, સ્થૂલ એટલે મોટુ, મૃષા એટલે અસત્ય-જૂઠ, વાદ એટલે બોલવું વિરમણ એટલે અટકવું, વ્રત એટલે નિયમ - પ્રતિજ્ઞા.

  • ખોટું વચન બોલવું તેનું નામ મૃષાવાદ
  • અહિતકારી ચર્ચા કરવી તેનું નામ મૃષાવાદ
  • રાગ-દ્વેષ કષાય સહિતના વચન બોલવા તેનું નામ મૃષાવાદ
  • દુષ્ટ મનોવૃત્તિ અને તીવ્ર સંકલેશથી મોટા પાંચ જૂઠા બોલવા તેનું નામ મૃષાવાદ
  • સત્યને ખોટી ભાવનાથી છુપાવવું હોય ત્યારે અસત્ય બોલવું તેનું નામ મૃષાવાદ
  • વિપરીત બોલવું, સાવદ્ય બોલવું તે અસત્યનું - મૃષાવાદનું જ સ્વરૂપ છે.

સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદવાળુ મૃષાવાદ હોય છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુગંચ્છાથી જે બોલાય તે સૂક્ષ્મ મૃષાવાદ તથા તીવ્ર સંકલ્પથી જે બોલાય તે સ્થૂલ મૃષાવાદ. શ્રાવકે સૂક્ષ્મ મૃષાવાદની યતના કરવી જોઇએ, અર્થાત્ મશ્કરીમાં કે હસતાં હસતાં જુઠ્ઠું બોલવાનો પણ શ્રાવકે ત્યાગ કરવો જોઇએ.
જે જીવ પોતાના જીવનમાં મૃષાવાદ એટલે અસત્ય, જુઠ, ખોટું બોલે છે તે આત્માની જીવનશક્તિ ઘસાઇ જાય છે, આત્મતેજ વેડફાઇ જાય છે, સર્વત્ર સર્વ સાથે વૈરવિરોધ પેદા થાય છે. લોકોને તેના ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે, આલોકમાં અવિશ્વાસનું અને પરલોકમાં દુરાચારનું ભાજન બને છે, નીચ ગતિઓ બંધાય છે, મૂંગા, બુદ્ધિહીન, ઇદ્રિયોની ખામીવાળા, બોલવાની શક્તિની ખામીવાળા, વાણીથી નિંદીત બનેલા અને દુર્ગંધી મુખવાળા થાય છે, આમ અસત્ય ભાષણથી આ ભવમાં અપયશ અને પરભવમાં દુર્ગતિ મળે છે અને મહાઅનર્થ થયા જ કરે છે.
સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતની પ્રતિજ્ઞા: દુષ્ટ મનોવૃત્તિથી કે તીવ્ર સંકલેશથી કન્યા, ગાય, ભૂમિ થાપણ અને જૂઠી સાક્ષીએ પાંચ મોટા જૂઠ-અસત્ય હું બોલીશ નહિ બીજા પાસે બોલાવીશ નહિ બોલતાને અનુમોદીશ નહિ.
સ્વરૂપ
કોઈનો જીવ બચાવવાના હેતુ સિવાય દુષ્ટ વિવિક્ષાથી, પેટમાં પાપ રાખીને, પાંચ મોટાં જૂઠ બોલવા નહિ. જેમ કે :

  • કન્યાલીક - કન્યા સંબંધી સગપણ વગેરેમાં, તેના ઉપલક્ષણથી બે પગવાળા, દરેક મનુષ્ય અને પંખી સંબંધી વ્યવહારમાં જાણી જોઈને ઈરાદાપૂર્વક જૂઠ બોલવું નહિ.
  • ગવાલીક - ગાય, પશુ વગેરે ઉપલક્ષણથી દરેક ચાર પગવાળાં પ્રાણી સંબંધી દૂધ વગેરે વિષયમાં જુઠ્ઠું બોલવું નહિ.
  • ભૂમ્યાલીક - ભૂમિ, ખેતર, મકાન, દુકાન ઉપલક્ષણથી આપણાં સ્થાવર વૃક્ષાદિ દરેક વસ્તુ સંબંધી જુઠ્ઠું બોલવું નહિ.
  • થાપણમોસો - પારકી થાપણ ઓળવવા માટે જુઠ્ઠું બોલવું નહિ.
  • કૂડી શાખ - લુચ્ચાઈ કે ઈર્ષાદિથી ખોટી સાક્ષી પૂરવી નહિ.

વિકલ્પો

  • કોઈને મોટું નુકસાન થાય તેવું જુઠ્ઠું બોલીશ નહિ. ખોટી સલાહ, ઠગાઈ, વિશ્વાસઘાત કારક વચનો વગેરે કદી નહીં બોલું.
  • કોઈની ગુપ્ત વાત કોઈને કહીશ નહિ/ કોઈના ઉપર ખોટો આક્ષેપ મુકીશ નહિ.
  • ધર્મમાં અંતરાય થાય તેવી સલાહ આપીશ નહિ.
  • ખોટી સાક્ષી પૂરીશ નહિ.
  • ખોટા  ચોપડા લખીશ / લખાવીશ નહિ.
  • ખોટા સહી / સિIા / દસ્તાવેજ - બનાવટ કરીશ નહિ.

પૂરક નિયમો

  • ધર્મના સોગંધ ખાવા નહિ. સ્વપ્રશંસા અને પરનિંદા ન કરવી.
  • મૂળથી જ ન હોય તેવું મોટું અને હડહડતું જુઠ્ઠું બોલવું નહિ.
  • પરપીડાકર વચન સત્ય હોય તો પણ હાંસી કે આક્રોશ વગેરેથી પણ ન બોલાય તેનો ઉપયોગ રાખવો.
  • ધર્મના વિષયમાં કે સિદ્ધાંતની વાતમાં ન જાણતા હોય તો મૌન રહેવું, પરંતુ અસત્ય પ્રતિપાદન કરવું નહિ કે સત્યનું ખંડન કરવું નહિ. હંમેશાં આગમાનુસારી વચનો બોલવાનો ઉપયોગ રાખવો,
 

જયણા

અજાણપણાથી, પરાધીનતાથી, આજીવિકા સંબંધથી, ચાડી-ચુગલી કરનારથી, ઘરપ્રસંગાદિ કારણથી અને સ્વ-પરરક્ષણ હેતુથી જુઠ્ઠું બોલાય તેની તથા માલિકના અભાવે થાપણનો સદ્ઉપયોગ કરવાની યોગ્ય જયણા કરવી.

ધ્યેય

ક્રોધ, લોભ, ભય વગેરેથી પણ જુઠ્ઠું ન બોલવાનું ધ્યેય રાખવું. પ્રિય, હિતકર, સત્ય અને તે પણ અલ્પ વચન, પ્રયોજન હોય તો સમજી-વિચારીને બોલવું, અન્યથા દ્રવ્ય અને ભાવથી મૌન કેળવવું. બાહ્ય વસ્તુઓમાં જેટલું ઓછું બોલાય તેટલી સત્યની રક્ષા વધારે છે.

અતિચારો

  • સહસાત્કાર - વિના વિચાર્યે, ઉતાવળા થઈ, કોઈના ઉપર `આ ચોર છે' ઈત્યાદિ અસદ્દોષારોપ મૂકવા તે. અથવા
  • સાકાર અભ્યાખ્યાન - આકાર વિશેષથી જાણેલ ખાનગી અભિપ્રાય પ્રગટ કરવો તે.
  • રહસ્યભાષણ - કોઈની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી તે, ચાડી ખાવી તે અને સ્ત્રાળ-પુરુષ કે અન્યની હાંસીöમશ્કરીમાં કાનભંભેરણી કરવી તે.
  • વિશ્વસ્ત મંત્રભેદ - પોતાની સ્ત્રાળ વગેરે વિશ્વાસુની કરેલી વાત પ્રગટ કરવી તે.
  • મૃષા ઉપદેશ - ધર્મના નામે જુઠ્ઠો ઉપદેશ, ખોટી સલાહ, અજ્ઞાત મંત્ર, ઔષદાદિ આપવાં તે.
  • કૂટલેખ - ખોટા દસ્તાવેજ કરવા, સમાન અક્ષર બનાવવા, લખેલ અક્ષર કાઢી નાખવા વગેરે.

બીજા વ્રતના આ પાંચ અતિચારો છે, તે પરિણામે હિંસાનાં કારણો છે. જીવનશુદ્ધિના લક્ષ્યથી આ અતિચારો પણ ન સેવાય તેનું ધ્યાન રાખવું.
કૌશિક નામનો તાપસ હતો, તે સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતો. પણ તેને સત્યાસત્યના  મર્મનું જ્ઞાન ન હતું, સાચું બોલવું એટલે બોલવું જ. પછી તે અહિતકારી હોય તો પણ બોલવું.
એકદા ચોરોએ કોઇ એક ગામને લૂંટયું અને રાજપુરુષોને ખબર પડતાં તે ચોરોને પકડવા તેની પાછળ દોડ્યા, પરંતુ એ ચોરો કૌશિક તાપસના આશ્રમની કેડીમાંથી વનમાં નાસી ગયા, એટલે રાજપુરુષોએ તે કૌશિક તાપસને પુછ્યું કે તપસ્વી! તમે કાયમ સાચું જ બોલો છો, અહીંથી ચોરો ક્યા રસ્તે ગયા? કૌશિક તાપસે વિચાર્યું હું પૂછનારને ખોટું કહું તો મહાપાપ લાગશે, આથી કૌશિક તાપસે રાજપુરુષોને તે ચોરો આ માર્ગે ગયા છે અને પેલી પલ્લીમાં તેમનું ગુપ્તસ્થાન છે. આ સાંભળી રાજપુરુષો લપાતા છુપાતા ચોરોના ગુપ્ત સ્થાનમાં ગયા અને ચોરોને મૃત્યુદંડ આપ્યો. આ ક્રુર કાર્યમાં કૌશિક તાપસ પણ નિમિત્ત બન્યો આથી તેના આયુષ્ય પૂર્ણ થયા બાદ નારકી બન્યા.
જ્ઞાની મુનિઓને સત્યાસત્યના મર્મનું જ્ઞાન હોવાથી વિચારીને જ વાણી ઉપદેશે છે તે અંગેનું દૃષ્ટાંત..
એક વખત જ્ઞાનીમુનિ વનમાં ધ્યાનસ્થ હતા, પારધીથી ત્રાસેલું મૃગલાઓનું ટોળું દોડતું તેમની પાસેથી પસાર થઇ જંગલમાં નાસી ગયું, ધ્યાનમાંથી નિવૃત્ત થયેલા તે મુનિએ મૃગલાનું ટોળું જંગલમાં જતું જોયું, થોડી જ વારમાં પારધી આવી પૂછવા લાગ્યો અરે મુનિ! મૃગનું ટોળું અહીંથી કઇ બાજુ ગયું? મુનિ વિચારમાં પડ્યા શું જવાબ આપવો પરંતુ તે જ્ઞાની અને ધર્મના માર્ગને જાણનારા હતા, આથી મુનિએ ઉત્તર આપતા કહ્યું `જે દેખે તે બોલે નહિ અને જે બોલે તે દેખે નહિ.'
પારધીએ વારંવાર પુછ્યું મુનિએ વારંવાર એક જ ઉત્તર આપ્યો આથી પારધીને થયું કે આ મુનિ અણસમજુ છે આની જોડે માથાફોડ કરવાથી કાંઇ મળે એમ નથી, એમ કૌતુક સમજી નિરાશ થઇ પારધી ચાલ્યો ગયો અને હરણા - મૃગલા બચી ગયા.
આમ પરને પીડાકારી વચન પણ અનાભોગથી બોલવું તે બીજા વ્રતનો પહેલો અતિચાર છે, તેમ જ યુદ્ધને અર્થે અનેક કુયુક્તિઓ, છળ કપટ શીખવવા તે બીજા વ્રતનો પ્રથમ અતિચાર છે.

સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત પર વસુરાજાનું અસત્ય ભાષણ ઉપરનું દ્રષ્ટાંત

endlne

vasuraja

સત્યવાદી ગણાતા રાજા યુધિષ્ઠીર! અશ્વત્થામાં હણાયો એ બાબતમાં અર્ધ સત્ય બોલ્યા `નરો વા કુંજરો વા' અર્થાત્ અશ્વત્થામા માણસ છે કે હાથી એમ અર્ધ સત્ય બોલ્યા. પરિણામે સદા જમીનથી અદ્ધર રહેતો તેનો રથ જમીનને અડી ગયો.

અસત્ય ભાષણ ઉપર વસુરાજાનું દૃષ્ટાંત

સામાન્ય રીતે પણ કહેવાય છે કે સત્ય એ આ સૃષ્ટિનો આધાર છે અથવા સત્યના આધાર ઉપર સૃષ્ટિ ટકી છે. આ ઉપરથી આપણને શિક્ષા મળે છે કે ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર આ બધું સત્ય દ્વારા ચાલી રહ્યું છે, અને આ ચાર ન હોત તો જગતનું રૂપ કેવું ભયંકર હોત? આ રીતે સૃષ્ટિનો આધાર સત્ય છે, આમ કહેવું કાંઇ અતિશયોક્તિ કે ન માનવા જેવું નથી.
વસુરાજાના એક શબ્દ અસત્ય બોલવાથી કેટલું દુઃખ દાયક ફળ થયું એ તત્ત્વવિચાર કરવા આપણે અહીં જાણીયે.
વસુરાજા, નારદ અને પર્વત આ ત્રણે એક જ પાસે વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો, અને તેના  પિતાનો સ્વર્ગવાસ થઇ ગયો હતો તે માટે પર્વત પોતાની માતા સાથે વસુરાજાના રાજ્યમાં રહેતા હતા. એક રાત્રે પર્વત અને નારદ અભ્યાસ કરી રહ્યા હતા. પર્વતની માતા તેની બાજુમાં બેઠી હતી. આ દરમ્યાન પર્વતે `અજૈર્યષ્ટવ્યમ્' એવું એક વાક્ય કહ્યું. ત્યારે નારદે કહ્યું, `અજનો અર્થ શું થાય, પર્વત?'' પર્વતે કહ્યું, `અજ અર્થાત્ બકરો.'' નારદે કહ્યું, `આપણે ત્રણે જ્યારે તારા પિતાજી પાસે ભણતા હતા ત્યારે તેમને `અજ'નો અર્થ ત્રણ વર્ષનો `વ્રીહિ' એમ કહ્યું હતું; અને આજે તું આનો ઉંધો અર્થ કેમ કરે છે.?'' આ રીતે પરસ્પર વાદ-વિવાદ વધી ગયો.

 

ત્યારે પર્વતે કહ્યું, `વસુરાજા આપણને જે કહેશે તે સત્ય' આ વાત નારદે પણ માની લીધી અને જે જીતે એના માટે અમુક શર્ત કીધી. પર્વતની માતા જે બાજુમાં બેઠી હતી તેણે આ બધું સાંભળ્યું, `અજ' અર્થાત્ `વ્રીહિ' એવું એમને પણ યાદ હતું. શર્તમાં પોતાનો પુત્ર હારી જશે એ ભયથી પર્વતની માતાજી રાત્રે રાજા પાસે ગઇ અને પૂછ્યું ``રાજન્! `અજ'નો અર્થ શું છે?'' વસુરાજાએ કહ્યું `અજનો અર્થ `વ્રીહિ' છે. ત્યારે પર્વતની માતાએ રાજાને કહ્યું, `મારા પુત્રએ અજનો અર્થ બકરો એમ કહી દીધુ છે, તો તમારે એનો પક્ષ લેવો પડશે. તમને પૂછવા નારદ અને પર્વત બન્ને આવશે. વસુરાજાએ કહ્યું, `પણ હું અસત્ય શા માટે બોલું? મારાથી આ ન થઇ શકે!' પર્વતની માતા એ મોહાવશ કહ્યું, `પણ જો તમે પર્વતનો પક્ષ નહી લેશો તો હું તમને હત્યાનું પાપ આપીશ.' રાજા વિચારમાં પડી ગયા, `સત્યના કારણે હું મણિમય સિંહાસન પર અદ્ધર બેઠો છું. લોકસમુદાયમાં ન્યાય કરું છું, લોકો પણ જાણે છે કે રાજા સત્ય ગુણના કારણે સિંહાસન પર આકાશમાં બેઠા છે. હવે હું શું કરું? પર્વતનો પક્ષ ન લઉ તો બ્રાહ્મણી મરે છે, અને એ તો મારા ગુરુની સ્ત્રાળ છે. લાચાર થઇ અંતમાં રાજા બ્રાહ્મણીને કહે છે `તમે ખુશીથી જાવ, હું પર્વતનો પક્ષ લઇશ' એવો નિýાય કરાવી પર્વતની માતા ઘરે આવે છે. પ્રભાતમાં નારદ, પર્વત અને માતા વિવાદ કરતા કરતા રાજાની પાસે જાય છે, રાજા અણજાન થઇ પુછે છે `પર્વત, શું થયું?', પર્વતે કહ્યું `રાજાધિરાજ! અજનો અર્થ શું થાય છે? તે તમે કહો.' રાજાએ નારદને પૂછ્યું `તમે શું કહો છો?' નારદે કહ્યું `અજનો અર્થ ત્રણ વર્ષનો `વ્રીહિ', તમને શું યાદ નથી?' વસુરાજાએ કહ્યું `અજનો અર્થ છે બકરો, વ્રીહિ નહિ'.
તે જ સમયે દેવતાઓએ સિંહાસનને ઉછાળીને પટકી દીધું, વસુરાજાનું મૃત્યુ થઇ ગયું. આ ઉપરથી આપણને બોધ મળે છે કે `આપણે સૌને અને રાજાને સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવું યોગ્ય છે. ભગવાને જે પાંચ મહાવ્રત પ્રણીત કર્યા છે, એમાં પ્રથમ મહાવ્રતની રક્ષા માટે બાકીના ચાર વ્રત વાડરુપ છે. અને એમાં પણ પહેલી વાડ સત્ય મહાવ્રત છે. આ સત્યના અનેક ભેદોને સિદ્ધાંતથી જાણવા આવશ્યક છે.

endlne