પહેલું શિક્ષાવ્રત અને નવમું સામાયિક વ્રત
માનવજન્મ પ્રાપ્ત કરીને સંયમજીવન જ સ્વીકારવું જોઇએ. પણ જ્યાં સુધી સંયમજીવન સ્વીકારી ન શકાય ત્યાં સુધી શ્રાવકજીવનમાં સંયમજીવનની તાલિમ લેવી જોઇએ. આત્માને સંયમજીવનથી ભાવિત બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તે માટે સંયમ જીવન રસાસ્વાદરૂપ શિક્ષાવ્રતોનું વારંવાર આસેવન કરવું જોઇએ. જે વ્રતો સંયમજીવનનું શિક્ષણ આપે તે શિક્ષાવ્રતો કહેવાય. આ શિક્ષાવ્રતો ચાર છે. 1) સામાયિક વ્રત 2) દેસાવગાસિક વ્રત 3) પૌષધોપવાસ વ્રત 4) અતિથિ સંવિભાગ વ્રત. આ વ્રતોનો શ્રાવકના નવથી બાર નંબરના વ્રતો તરીકે સમાવેશ કરાયો છે.
સામાયિક એટલે શું? આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યગ્-દર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમઅઆયઅઇક એ શબ્દોથી થાય છે. `સમ' એટલે રાગ-દ્વેષરહિત મધ્યસ્થ પરિણામ. `આય' એટલે તે સમ-ભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્ર રૂપ મોક્ષમાર્ગનો લાભ, અને `ઇક' કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આર્ત્તને રૌદ્ર બે પ્રકારના ધ્યાનનો ત્યાગ કરીને, મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. નવતત્ત્વો પૈકી સંવર નામના તત્ત્વધર્મની આરાધના તે સામાયિક, જીવ માત્ર સાથે મૈત્રીભાવ કેળવવો તે સામાયિક, અંતર્મુહૂર્ત માટે સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે સામાયિક, સમભાવમાં વૃદ્ધિ કરે તે સામાયિક, સાધુ ધર્મનો અનુભવ કરાવનાર શુભ ક્રિયા તે સામાયિક. ગૃહસ્થો માટે સામાયિક અને પૂજા બારમાસી ધર્મ છે. વ્યાખ્યાન શ્રવણ રોજ ન મળે પણ સામાયિક અને પૂજા તો રોજ કરી શકાય છે. પૂજા તો દેરાસરમાં જ થાય, વળી સૂર્યાસ્ત પહેલા જ થાય પણ સામાયિકને દેશ કે કાળનું કોઇ બંધન નથી. ઘરે, દુકાને, ઉપાશ્રયે ગમે તે સ્થાને સામાયિક થઇ શકે. ઇતિહાસમાં બની ગયેલ ઘટનાઓથી સમજાય છે કે 1 લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજી વ્યક્તિ માત્ર એક સામાયિક કરે તો તે સુવર્ણના દાન કરતાં સામાયિકનું ફળ ચડી જાય છે. બીજું ભવો-ભવમાં અનેક તપýાર્યા કરીને પણ જેટલી નિર્જરા નથી થતી તેટલી નિર્જરા સામાયિકની અડધી ક્ષણમાં ખપાવી શકાય છે. માટે મુમુક્ષુ જીવને સામાયિક આવશ્યક છે. સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરી વિરતિ-ભાવને ધારણ કરવાની બે ઘડીના નિયમ પૂર્વકની ઈરિયાવહી આદિ વિધિથી જે ક્રિયા કરવી તેનું નામ સામાયિક છે. તેમાં ચરવળો, મુહપત્તિ, કટાસણું અને પહેરવાનું વસ્ત્ર આ ઉપકરણો અવશ્ય જોઈએ. તેની દૃષ્ટિ પડિલેહણા કરવી જોઈએ. સામાયિકમાં કાંડા ઘડિયાળ અથવા એક વાલની વીંટી વગેરે અલંકારો પહેરવા નહી. 1. જેમ તીક્ષ્ણ સોયથી પગનો કાંટો સરળતાથી કાઢી શકાય, તેવી રીતે સામાયિકમાં તીક્ષ્ણ ઉપયોગથી કર્મોની નિર્જરા સહેલાઈથી થાય છે. જયણા: અશક્તિ, માંદગી, ચિત્તની વિકળતા આદિ કારણે સામાયિક ન થાય અગર તેમાં પ્રમાદ થાય તેની જયણા. ધ્યેય : શ્રાવકજીવનનું સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન સામાયિક છે, જેમાં દેશથી વિરતિનો આસ્વાદ માણવાનો છે, જે સાધુજીવનની નજીક લઈ જનાર અનુષ્ઠાન છે, જેમાં કરણ અને કરાવણથી શ્રાવકને દુનિયાભરનાં પાપોનો ત્યાગ થાય છે અને સ્વાધ્યાય આદિ કરવાથી શુભ ભાવોની વૃદ્ધિ થાય છે. અતિચારોઃ 1. મનોદુપ્રણિધાન : મનમાં કુવિકલ્પ કરવા. 2. વચનદુપ્રણિધાન: સાવધ કઠોર વચન બોલવાં. 3. કાયદુપ્રણિધાન : કાયા અજયણાથી હલાવવી, નિદ્રા કરવી. 4. અનવસ્થાન:નિયત સમયે સામાયિક ન કરવું. સમય પહેલાં પારવું. 5. સ્મૃતિવિહીન : સામાયિકનો સમય જોવાનો રહી જાય, પારવાનું રહી જાય.
સામાયિકના દોષો : મનના પુદ્ગલ તરંગી છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવુ કહ્યું છે ત્યારે પણ એ મન આકાશપાતાલના ઘાટ ઘડ્યા કરે છે. તેમ જ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઇત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દોષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે.
મનના દશ દોષ
- અવિવેક:સામાયિકમાં સર્વ ક્રિયા કરે, પણ વિવેક-રહિતપણે કરે. મનમાં એમ વિચારે કે સામાયિક કર્યાથી કોણ તર્યું છે? એવા કુવિકલ્પ કરે તે.
- યશવહિ : સામાયિક કરીને યશકિર્તિની ઈચ્છા કરે તે.
- ધનવાંછન : સામાયિક કરી તેમાંથી ધન મેળવવાની ઈચ્છા રાખે તે.
- ગર્વદોષ : સામાયિક કરીને મનમાં અભિમાન કરે કે હું જ ધર્મી છું, મને સારી રીતે સામાયિક કરતાં આવડે છે, બીજા મૂર્ખ લોકોને શી ગમ પડે ? એવું વિચારે તે.
- ભયદોષ : લોકોની નિંદાથી ડરીને સામાયિક કરે તે.
- નિદાનદોષ : સામાયિક કરીને નિયાણું કરે કે આ સામાયિકના ફળથી મને ધન, સ્ત્રાળ, પુત્ર કે રાજ્ય આદિ પ્રાપ્ત થાય; ઈદ્ર, ચક્રવર્તી આદિની પદવી મળે તો સારું.
- સંશયદોષ : સામાયિક કરે પણ મનમાં સંશય રહે કે કોણ જાણે સામાયિકનું શું ફળ હશે? આગળ જતાં એનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખે તે.
- કષાયદોષ : સામાયિકમાં કષાય કરે અથવા ક્રોધયુક્ત મન છતાં સામાયિક કરે તે.
- અવિનય : વિનય-રહિતપણે સામાયિક કરે તે.
- અબહુમાન:બહુમાન, ભક્તિભાવ, ઉત્સાહપૂર્વક સામાયિક ન કરે તે.
|
|
વચનના દશ દોષ
- કુવચન : સામાયિકમાં કુવચન, કર્કશ વચન બોલે તે.
- સહસાત્કાર : અવિચાર્યું ઉપયોગ વિના સામાયિકમાં બોલે તે.
- અસત્આરોપણ : સામાયિકમાં કોઈને ખોટું આળ દે.
- નિરપેક્ષ વાક્ય : સામાયિકમાં સારની અપેક્ષા રાખ્યા વિના પોતાની મરજી પ્રમાણે બોલે તે.
- સંક્ષેપ : સામાયિકમાં સૂત્રપાઠ સંક્ષેપથી કરે. અલંકાર પાઠાદિ યથાર્થ કહે નહિ તે.
- કલહ : સામાયિકમાં સધર્મી સાથે કલહ કરે તે.
- વિકથા : સામાયિકમાં રાજ કથા, દેશ કથા, સ્ત્રાળ કથા, ભક્તકથાદિ કરે તે.
- હાસ્ય : સામાયિકમાં બીજાની હાંસી-મશ્કરી કરે તે.
- અશુદ્ધ પાઠ : સામાયિકમાં સૂત્રપાઠ શુદ્ધ બોલે નહિ, સંપદાહીન, હ્રસ્વ-દીર્ધનું ભાન રાખ્યા વિના, માત્રા હીન-અધિક કરીને પાઠ ઉચ્ચારે તે.
- મૂણ : સામાયિકમાં પ્રગટ સ્પષ્ટ અક્ષરોચ્ચાર ન કરે, માખીની પેઠે ગણગણાટ કરી પાઠ પૂરો કરે તે.
કાયાના બાર દોષ
- આસન : સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવીને બેસે અથવા વસ્ત્ર વડે પગ બાંધીને બેસે તે.
- ચલાસન : આસન સ્થિર રાખે નહિ, ઉપયોગ વિના જતનરહિત આસન ફેરવ ફેરવ કરે તે.
- ચલદૃષ્ટિ : ચપળપણે ચારે દિશાએ ચકિત મૃગની પેઠે નેત્રો ફેરવે તે.
- સાવધક્રિયા : કાયા વડે કાંઈ સાવધક્રિયા કરે અથવા સાવધક્રિયાની સંજ્ઞા કરે તે.
- આલંબન : ભીંત, થાંભલા પ્રમુખનું ઓઠું લઈને બેસવું તે; કેમ કે પૂંજ્યા વિનાની દીવાલે પીઠ દેવાથી તેના પર બેઠેલા જીવોનો ઘાત થાય, વળી નિદ્રા પણ આવે.
- આકુંચન:પ્રસારણ - સામાયિક લીધા પછી પ્રયોજન વિના હાથ સંકોચે, લાંબા કરે તે. પ્રયોજન પડે તો પૂંજી પ્રમાર્જીને તેમ કરે.
- આલસ્ય : સામાયિકમાં આળસ મરડે, કમ્મર વાંકી કરે, પ્રમાદ સેવે તે.
- મોટન : સામાયિકમાં આંગળી પ્રમુખને વાંકી કરી ટાંચણા પાડવા તે.
- મલ: સામાયિકમાં મેલ, નખ ઉતારે, ખંજવાળે (ખરજ સહન ન થાય તો પૂંજી પ્રમાર્જીને જતનપૂર્વક કરે)
- વિમાસણ : સામાયિકમાં હાથનો ટેકો દે કે ગળામાં હાથનો ટેકો દઈને બેસે તે.
- નિદ્રા : સામાયિક લઈને ઊંઘે તે.
- આચ્છાદન : ટાઢ ઘણી વાવાથી / લાગવાથી પોતાનાં બધાં અંગોપાંગ વસ્ત્રાેથી ઢાંકવાં તે.
એકાગ્રતા અને સાવધાની વિના એ બત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાન-વેત્તાઓએ સામાયિકનું જધન્ય પ્રમાણ બે ઘડીનું બાંધ્યું છે. આ વ્રત સાવધાની પૂર્વક કરવાથી પરમશાંતિ આપે છે. કેટલાકનો એ બે ઘડીનો કાળ જ્યારે જતો નથી ત્યારે તેઓ બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઇ બેસવાથી કાળ જાય પણ ક્યાંથી? આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તો વખત જવો સુગમ પડે છે જોકે એવા પામરો પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તો પણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઇક ફેર પડે છે. સામાયિક પણ પુરું જેઓને આવડતું નથી તેઓ સામાયિકમાં પછી બહુ મુંઝાય છે, કેટલાક ભારે કર્મીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે આથી સામાયિક બહુ દોષિત થાય છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુતલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યતા દિવસથી ભરેલાં અનંતા કાળચક્ર વ્યતીત કરતા પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લોગસ્સથી વધારે લોગસ્સનો કાયોત્સર્ગ કરી ચિત્તની કંઇક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્યો બોલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તો કરવો. કોઇને શાસ્ત્રાધારથી બોધ આપવો; એમ સામાયિકી કાળ વ્યતીત કરવો. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમવાણી સાંભળી તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબોધક કથન શ્રવણ કરવું, કિંવા કંઇ અભ્યાસ કરવો.
એ સઘળી યોગવાઇ ન હોય તો કેટલોક ભાગ લક્ષપૂર્વક કાયોત્સર્ગમાં રોકવો; કેટલોક ભાગ મહાપુરુષોનાં ચારિત્રકથામાં ઉપયોગપૂર્વક રોકવો. પરંતુ જેમ બને તેમ વિવેકથી ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરવો. કંઇ સાહિત્ય ન હોય તો પંચપરમેષ્ઠીમંત્રનો જાપ જ ઉત્સાહપૂર્વક કરવો. પણ વ્યર્થ કાળ કાઢવો નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારવો. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદ્ભાવથી કરવું.
|